મોરબી શહેરમાં રખડતા કુતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વધુ એક કૂતરા કરડવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ૧૩ વર્ષીય કર્તવ્યરાજસિંહ નામના કિશોરને કૂતરાએ બચકું ભરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને કોર્પોરેશન તાત્કાલિક પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કુતરાઓનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોજબરોજ કૂતરા કરડવાના બનાવો સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છાત્રાલય પાછળ આવેલા ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં આવા બનાવો વારંવાર બનતા હોવાના કારણે સ્થાનિક રહિશોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ૧૩ વર્ષીય કર્તવ્યરાજસિંહ નામનો કિશોર ક્રિકેટ રમવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક રખડતા કૂતરાએ તેના પર હુમલો કરી બચકું ભરી લીધું હતું. કિશોર ઇજાગ્રસ્ત થતા પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં રખડતા કુતરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. નાના બાળકો તેમજ વૃદ્ધોને બહાર નીકળવામાં પણ ડર લાગતો હોવાનું રહિશોએ જણાવ્યું હતું. લોકોએ મોરબી કોર્પોરેશન તાત્કાલિક અસરથી વિશેષ ડ્રાઇવ હાથ ધરી રખડતા કુતરાઓને પકડવાની કામગીરી શરૂ કરે તેમજ કૂતરા કરડવાના વધતા બનાવોને અટકાવવા અસરકારક પગલાં ભરે તેવી માંગણી કરી છે.






