નિર્દોષ લોકો ભોગ બને એ પુર્વે તાત્કાલિક યોગ્ય કરવા માંગણી
ટંકારા શહેરમાં આવેલ રાજાશાહી સમયનો એકમાત્ર ઐતિહાસિક દરવાજો (ગેઇટ) અત્યંત ખખડધજ અને ભયજનક હાલતમાં ફેરવાઈ ગયો છે. ગત રાત્રે વિસ્તારમાં પડેલા વરસાદને કારણે આ દરવાજાની દીવાલમાં મોટી તિરાડ પડી ગઈ હતી અને નાના-મોટા પથ્થરો નીચે ખરવા લાગ્યા હતા. ભરરાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ભારે ડર અને ભયનું લખલખું પ્રસરી ગયું છે.
તાલુકા ફ્લડ કંટ્રોલમાં જાણ કરાઈ: રસ્તો ડાયવર્ટ કરવા માંગ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિકો દ્વારા તાત્કાલિક તાલુકા ફ્લડ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ ન થાય તે માટે આ માર્ગ પરથી વાહન વ્યવહાર તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવે અને આ ઐતિહાસિક દરવાજાનું તાબડતોબ યોગ્ય કરવા યુધ્ધના ધોરણે કામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.
તંત્ર સામે સળગતા સવાલો: હોનારત સર્જાશે તો જવાબદારી કોની?
સ્થાનિક પ્રજામાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે: વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ટેકનિકલ તપાસ કરીને આ દરવાજો સુરક્ષિત છે કે નહીં તેની અધિકૃત માહિતી જાહેર કરવામાં આવે.
જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે કે જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોની રહેશે?
ચોમાસાની શરૂઆત અને સતત પડી રહેલા વરસાદને પગલે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે જેથી આવી કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત મદદ મળી રહે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ જર્જરિત દરવાજા અંગે વહેલી તકે કોઈ નમૂનેદાર પગલાં ભરે છે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જુએ છે






