લક્ષ્મીનગર નજીક ઘટના: ફાયર બ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરી આગ કાબૂમાં લીધી, ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી.
મોરબી-માળીયા હાઈવે પર લક્ષ્મીનગર નજીક પાર્કિંગમાં ઉભેલા એક LPG ટેન્કરની કેબીનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
મોરબી ફાયર કંટ્રોલ રૂમને સાંજે આશરે ૮ વાગ્યે જાણ મળી હતી કે માળીયા હાઈવે પર લક્ષ્મીનગર નજીક પાર્કિંગમાં ઉભેલા એક LPG ટેન્કરની કેબીનમાં આગ લાગી છે. જાણ મળતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આગ લાગેલ LPG ટેન્કર ખાલી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ મળ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.






