દારૂના કેસમાં બાતમી આપ્યાનો શકવહેમ રાખી થાનગઢથી મોરબી આવી હનીફભાઈ ભટ્ટીની હત્યા, સીટી બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને દબોચ્યા.
મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં ભત્રીજાની સગા કાકા સહિત ચાર શખ્સોએ છરીના ઘા અને પિસ્તોલથી ફાયરિંગ કરી હનીફભાઈ ભટ્ટી નામના યુવાનની હત્યા કરી હતી. બનાવ બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-૨ના શોભેશ્વર રોડ સ્થિત મફતીયાપરા વિસ્તારમાં હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટીની છરીના ઘા અને પિસ્તોલથી ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ફારૂકભાઈ અલ્લારખાભાઈ ઉર્ફે બટુક કવાલ ભટ્ટી ગેરકાયદે દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો અને તેના વિરુદ્ધ થતા પોલીસ કેસોમાં મૃતક હનીફભાઈ બાતમી આપતા હોવાનો શકવહેમ રાખી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ બનાવમાં ફારૂકભાઈ ભટ્ટી, સમીરભાઈ જાકિરભાઈ પીરજાદા, રીયાઝભાઈ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝીમભાઈ દિલાવરભાઈ ઉર્ફે મુનાફભાઈ દિવાન બધા રહે. થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળા એમ ચારેય આરોપીઓએ એકસંપ કરી થાનગઢથી મોરબી આવી હુમલો કરી હત્યા નિપજાવી હતી. ગુનાની ગંભીરતા ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી જે.એમ.આલ તથા એસ.એચ સારડાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈ જે.ડી. સરવૈયાની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવી થાનગઢ અને મોરબીના શક્તિ ચેમ્બર વિસ્તારમાંથી ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ સામે અગાઉ પણ પ્રોહિબિશન, મારામારી અને આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






