મૃતકની માતાની ફરિયાદ બાદ દુષ્કર્મ કરનારના પત્ની, ભાઈ અને ભાભી સામે મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધાયો.
હળવદ તાલુકાની ૨૦ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યા બાદ તેની માતાએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. જેમાં દુષ્કર્મના કેસમાં સમાધાન કરવા અને ફરિયાદ પરત ખેંચવા માટે સતત ધમકીઓ અપાતી હોવાના ત્રાસથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપો સાથે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામની રહેવાસી ૨૦ વર્ષીય અનીતાબેને ગત ૭ જૂનના રોજ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકની માતા ચંપાબેન માવજીભાઈ ટાભાભાઈ રાઠોડ દ્વારા હળવદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પુત્રીએ રાજકોટના ધર્મેન્દ્ર જીતેન્દ્રભાઈ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ દુષ્કર્મ અંગેનો કેસ નોંધાયા બાદ આરોપી ધર્મેન્દ્ર પરમારની પત્ની, તેનો ભાઈ સંજયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર અને ભાભી મનીષાબેન સંજયભાઈ પરમાર દ્વારા યુવતીને વારંવાર ફોન કરીને સમાધાન કરવા તેમજ કેસ પરત ખેંચવા દબાણ કરવામાં આવતું હતું. ઉપરાંત ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકની માતાનો આક્ષેપ છે કે સતત માનસિક ત્રાસ અને દબાણના કારણે તેમની પુત્રી કંટાળી ગઈ હતી અને અંતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






