મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઇનના વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા આજે પારણા કરવામાં આવ્યા હતા. જોકે, સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર સંબંધિત નવા પરિપત્રનો અસ્વીકાર કરતાં ખેડૂતોે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે જ આગામી સમયમાં ગામેગામ સત્યાગ્રહ શરૂ કરવાની જાહેરાત કરી સરકારને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
જેતપર ગામે આજે યોજાયેલી જાહેર સભામાં ગ્રામજનોએ રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તા. 4 જુલાઈ, 2026ના ઠરાવનો વિગતવાર અભ્યાસ કરીને ચર્ચા-વિચારણા કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે ઠરાવમાં દર્શાવાયેલી જોગવાઈઓ મુજબ ટેલિગ્રાફ એક્ટ, 1885ની કલમ 10(ઘ) હેઠળ થાંભલા અને વીજતારને કારણે થતું સંપૂર્ણ નુકસાન આવરી લેવામાં આવતું નથી. તેથી સર્વાનુમતે આ ઠરાવને નામંજૂર કરવામાં આવ્યો હતો.
સભામાં ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી હતી કે હાલનો ઠરાવ રદ કરીને ખેડૂતોને થનારા સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય તેવો નવો ઠરાવ તાત્કાલિક જાહેર કરવામાં આવે. જો આગામી સાત દિવસમાં સરકાર નવો ઠરાવ જાહેર નહીં કરે તો રાજ્યભરમાં સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.
ખેડૂતોે વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડશે તો 12થી 24 મહિના સુધી પણ તેઓ કામધંધા બંધ રાખીને લડત ચાલુ રાખવા તૈયાર છે. આંદોલનને હવે વધુ વ્યાપક બનાવવાની દિશામાં ગામેગામ જનજાગૃતિ અને સત્યાગ્રહ કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ નિર્ણયથી હેવી વીજલાઇન વળતર મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.






