ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી: ત્રણ તબક્કાની સુનાવણી બાદ નિર્ણય લેવાયો.
મોરબીના લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણધરને ગ્રામ પંચાયતના સભ્યપદ પરથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરએ કર્યો છે. સરપંચ, ઉપસરપંચ અને તાલુકા વિકાસ અધિકારી સહિતની રજૂઆતો, ત્રણ સુનાવણીઓ અને ઉપલબ્ધ આધાર-પુરાવાઓના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રજૂઆતમાં રમેશભાઈ દેવરાજભાઈ ખાણધર પર ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, સસ્તા અનાજની દુકાન સહિતની જાહેર સંસ્થાઓના કર્મચારીઓને હેરાનગતિ કરવી, વિકાસના કામોમાં અડચણ ઉભી કરવી અને વારંવાર ખોટી ફરિયાદો કરીને વહીવટમાં અવરોધ ઉભો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ તેમને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ થયો હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટે પ્રક્રિયાગત કારણોસર તેમને પુનઃસ્થાપિત કરીને નવી કારણદર્શક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લા વિકાસ અધિકારીને સ્વતંત્રતા આપી હતી.
ત્યારબાદ ત્રણ અલગ-અલગ સુનાવણીઓ યોજાઈ હતી, જેમાં બંને પક્ષોની લેખિત અને મૌખિક રજૂઆતો તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરપંચ, ઉપસરપંચ, તલાટી-કમ-મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીએ અગાઉના આક્ષેપોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે તેમની વર્તણૂકના કારણે જાહેર સંસ્થાઓના કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઊભો થાય છે.
બીજી તરફ, જીલ્લા વિકાસ અધિકારીએ પોતાના હુકમમાં નોંધ્યું છે કે રમેશભાઈ ખાણધરે જાહેર સંસ્થાના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી, ગ્રામ વિકાસના કાર્યોમાં અડચણો ઊભી કરી અને જવાબદાર લોકપ્રતિનિધિને ન છાજે તેવું વર્તન કર્યું હોવાનું પુરાવાઓ પરથી જણાય છે. તેથી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૫૭(૧) હેઠળ તેમને તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતના સભ્યપદ પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.






