Tuesday, May 14, 2024
HomeGujaratરાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગ...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે મહાયજ્ઞ-ધર્મસભા સંપન્ન

મોરબી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વિ-શતાબ્દી જન્મ જયંતિ મહોત્સવ દ્વારા આયોજિત ધર્મસભા સમરોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. તેમજ મોરબી ખાતે ધર્મસભા સમારોહ – ૧૧૦૦ કુંડી મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં આચાર્ય દેવવ્રત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “મહર્ષિ દયાનંદજીએ સમાજના કુરિવાજો દૂર કરી પૂજાની પ્રાચીન પરંપરા ‘યજ્ઞ’ને પુન: જીવંત કરી હતી. આર્ય સમાજના અનેક વિદ્વાનો – અનુયાઈઓએ ભારતિય સંસ્કૃતિને જીવંત રાખવામાં યોગદાન આપ્યું છે.

- Advertisement -
- Advertisement -

ધર્મસભા સમરોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, મોરબી અને ટંકારા મારા સહિત અનેક લોકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. ટંકારાની પવિત્ર ભૂમિ પર મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જ્ન્મ થયો હતો. તેઓએ વિદ્યાપ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. બાદમાં તેઓએ વેદોનું જ્ઞાન મેળવ્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજના કુરિવાજો, સતીપ્રથા, અસ્પૃશ્યતા, સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવી, વિદેશની ગુલામીમાંથી મુક્તિ જેવી કુરીતોનું નિરાકરણ કરી સમાજને નવી દિશા આપી કુરિવાજોમાંથી મુક્તિ અપાવી છે. મોરબીમાં યોજાયેલ ૧૧૦૦ કુંડી મહાયજ્ઞ મનુષ્યને ભગવાન સુધી પહોંચાડવાનો રસ્તો પ્રસ્થાપિત કરનાર યજ્ઞ છે. યજ્ઞએ બહુ મોટું વિજ્ઞાન છે. યજ્ઞથી આજુબાજુનું વાતવરણ પવિત્ર થાય છે. વેદોના મંત્રોથી કુરિવાજોની આહુતિ આપી યજ્ઞને પુનઃ પ્રસ્થાપિત કરવાનું કાર્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. દયાનંદજીએ નારીઓનું પુન સમ્માન અપાવ્યું હતું. દયાનંદ સરસ્વતી તેઓના ‘સત્યાર્થ પ્રકાશ’ નામના ગ્રંથમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વિચારધારા તેઓએ રજૂ કરતા લોકોમાં સ્વદેશ અને રાષ્ટ્રપ્રેમનો ભાવ ઉભો થયો છે.

રાજ્યપાલે સજીવ ખેતી વિશે જણાવ્યું હતું કે, આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ સાથોસાથ સજીવ ખેતીને બદલે રસાયણિક ખેતી વધુ થવાથી લોકોના આરોગ્યને નુકશાન થવા લાગ્યું. આપણી પ્રાચીન પરંપરા સજીવ ખેતી હતી. જે શરીરને શુદ્ધ કરે છે. તે રીતે ભારતીય વેદોમાં પર્યાવરણને શુદ્ધ કરવાની પરંપરા છે. જે જલ દેવને પ્રસન્ન કરે છે અને વરસાદ લાવે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સમારોહ પહેલા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આર્ય મહામંડળની બહેનો દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ઋણ ઉજાગર કરતું ગીત, આર્ય વિદ્યાલય ટંકારાની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે સમિતિના મહામંત્રી રમેશભાઈ બાવરવાએ ૧૧૦૦ કૂંડી યજ્ઞનું મહત્વ સમજાવી મોરબીમાં આર્ય સમાજ બનાવવા રૂ.૧૧ લાખના દાનની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લો સિરામિક, ઘડિયાળનાં ઉદ્યોગથી જગ પ્રસિદ્ધ છે. ત્યારે આ જ જિલ્લાનાં ટંકારામાં સરકાર દ્વારા ૧૫ એકર જમીન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ભવ્ય સંકુલ નિર્માણ પામશે. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત આર્ય સમાજ દક્ષિણ પ્રમુખ મહેશભાઈ ભોરણીયા દ્વારા તેમજ બોટાદ ભજનાનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતીજી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશથી પધારેલા પૂજ્ય આચાર્ય આર્યનરેશ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સદસ્ય કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, કલેકટર જી.ટી. પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પૂર્વમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, આર્યસમાજના અગ્રણીઓ માવજીભાઈ દલસાણીયા, પશ્ચિમ ક્ષેત્રના સરસંચાલક ડૉ.જયંતીભાઈ ભાડેસીયા, દાતાઓ, આગેવાનો, અધિકારીઓ, મોરબીવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!