મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગમાં લાંબા સમય બાદ એક મોટો વહિવટી ફેરફાર જોવા મળ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વિધિવત ઓર્ડર જારી કરીને જિલ્લાના મહેસૂલી તંત્રમાં ફરજ બજાવતા 30 નાયબ મામલતદાર અને 6 ક્લાર્ક સહિત કુલ 36 કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગના નિયમો અને પારદર્શક વહીવટના ભાગરૂપે, મોરબી જિલ્લામાં એક જ જગ્યા પર અથવા એક જ ટેબલ પર સતત ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા તમામ નાયબ મામલતદારોની બદલીનો આખરી ઓર્ડર કરી દેવાયો છે. આ નિર્ણયથી જિલ્લા મહેસૂલ તંત્રના વિવિધ સબ-ડિવિઝન, મામલતદાર કચેરીઓ અને કલેક્ટર કચેરીના કામકાજમાં નવી ઊર્જા અને બદલાવ જોવા મળશે.
આ બદલી પ્રક્રિયાની સૌથી વિશિષ્ટ અને સરાહનીય બાબત એ રહી છે કે, મોરબી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ પ્રકારની રાજકીય ભલામણ કે ‘મામકાવાદ’ (પક્ષપાત) વિના બદલીઓ કરવામાં આવી છે. બદલી પાત્ર કર્મચારીઓને તેમની સીનિયોરિટી (વરિષ્ઠતા) ના આધારે પોતાની પસંદગીની જગ્યા (ઓપ્શન) પસંદ કરવાની ન્યાયી તક આપવામાં આવી હતી.
કલેક્ટર સ્વપ્નિલ ખરેની ન્યાયી પ્રણાલીને કર્મચારીઓનો આવકાર
જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અપનાવવામાં આવેલી આ પારદર્શક અને સીનિયોરિટી-આધારિત બદલી નીતિની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. કોઈપણ ભલામણ વગર કર્મચારીઓની યોગ્યતા અને વરિષ્ઠતાને માન આપીને કરાયેલા આ ઓર્ડરથી સમગ્ર મહેસૂલી કર્મચારી આલમમાં ખુશી અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે.
જિલ્લા તંત્રના આ પગલાથી સરકારી કામગીરીમાં વધુ ઝડપ, તટસ્થતા અને પારદર્શિતા આવશે તેમજ પ્રજાકીય પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.






