ખરીદી કરવા ગયેલી સગીરા પરત ન ફરતાં પરિવાર ચિંતિત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બુધવારી બજારમાંથી એક સગીરા અચાનક ગુમ થઈ ગઈ હતી. ખરીદી કરવા ગયેલી સગીરા લાંબા સમય સુધી પરત ન આવતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સગીરા ઘરેથી જાણ કર્યા વગર જતી રહી અને ઓરિસ્સા રાજ્યમાં એક યુવક સાથે છ માસ બાદ મળી આવી હતી. ત્યારે ફરી આ રીતનો બનાવ સામે આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ ચલાવી છે.
મોરબીમાં રહેતા અને મૂળ તાલુકાના ગ્રામ્યના વતની એવા ફરિયાદીની ૧૭ વર્ષની દીકરી ગુમ અથવા અપહરણ થયા અંગેની આશંકા સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ, ફરિયાદી ગત.તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ સાંજે મહેન્દ્રનગર ચોકડી નજીક બુધવારી બજાર વિસ્તારમાં તેઓ પોતાની સગીર દીકરી અને પુત્ર સાથે ગયા હતા. દરમિયાન સગીરા ખરીદી કરવા માટે બજારમાં ગઈ હતી, પરંતુ અડધો કલાક જેટલો સમય વીતી જતાં પણ પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવાર દ્વારા બજાર તથા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી, છતાં સગીરાનો કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ સગા-સંબંધીઓમાં પણ તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ સગડ ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, અગાઉ પણ સગીરા બે વખત જાણ કર્યા વગર ઘરેથી જતી રહી હોવાનું સામે આવ્યું છે અને છ માસ બાદ ઘરે પરત ફરી હતી, જે અંગે પણ અગાઉ ફરિયાદ નોંધાવી હતી તે બાબતનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ સગીર વયની દીકરીના અપહરણ થયા અંગેની આશંકા વ્યક્ત કરી, મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સગીરાની શોધખોળ શરૂ કરી છે.









