આવતીકાલથી નવા પદાધિકારીઓ સંભાળશે ચાર્જ
મોરબી મહાનગરપાલિકાના નવા ભવનનું કામ પૂર્ણ થતાં આજે વાસ્તુપૂજન, નવચંડી યજ્ઞ અને શાંતિ યજ્ઞ સહિતની ધાર્મિકવિધિ યોજાઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી અધૂરું રહેલું બિલ્ડીંગ પૂર્ણ કરવા માટે વધુ રૂ.૩.૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલથી નવા પદાધિકારીઓ નવા ભવનમાં ચાર્જ સંભાળશે.
મોરબી મહાનગરપાલિકાના નવા ભવનનું બાંધકામ પૂર્ણ થતાં આજે ધાર્મિક માહોલ વચ્ચે વાસ્તુપૂજન અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલા યજ્ઞમાં કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો તેમજ ડેપ્યુટી કમિશનર સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી અને નવેમ્બર માસમાં ફરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધૂરું રહેલું બિલ્ડીંગ પૂર્ણ કરવા માટે અંદાજે રૂ.૩.૫ કરોડનો વધારાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૧૦થી ૧૫ દિવસ દરમિયાન રાત-દિવસ કામ કરીને ટાઈલ્સ, કલરકામ સહિતનું બાંધકામ તાબડતોબ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ તકે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં નગરપાલિકાના સમયમાં બિલ્ડીંગને નવું બનાવવા મંજૂરી અપાઈ હતી, પરંતુ કામગીરી અધૂરી રહી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ પાંચ પ્રયાસો પછી એજન્સી ફાઈનલ કરી કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને થર્ડ ફ્લોરના ચેમ્બર તૈયાર થઈ ગયા છે. આવતીકાલે ચૂંટણી યોજાનાર હોવાથી મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બર સહિત સેકન્ડ ફ્લોરનો હોલ પણ તૈયાર કરી દેવાયો છે. ભવનમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ હોવાનું અને આગામી ત્રણ દિવસમાં તે પૂર્ણ થઈ જવાની માહિતી પણ આપવામાં આવી હતી.






