મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરી ૧૫ વેપારીઓને નોટિસ ફટકારી હતી. કાર્યવાહી દરમિયાન વાસી તથા અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરની ટીમે શહેરના વિવિધ રેસ્ટોરન્ટ, કેફે અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ ૫૦ એકમોમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન ગંભીર બેદરકારી બદલ ૧૫ ખાદ્યપદાર્થના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. રવાપર રોડ સ્થિત કેફે ચોકો ક્રેઝમાંથી વાસી કેકનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ધ ઘૂઘરા હાઉસમાંથી એક્સપાયરી તારીખ વગરના ખાદ્યપદાર્થ મળી આવતા ફૂડ કલર સહિતનો માલ નષ્ટ કરાયો હતો.
શનાળા રોડ પર આવેલી સ્પાઈસી હટ, શુભ રેસ્ટોરન્ટ અને માધવ હોટેલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. માધવ હોટેલમાંથી વાસી મન્ચુરિયન, ગ્રેવી અને વાસી શાકનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માધવ દાબેલી, અન્નપૂર્ણા નાસ્તા, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો અને શ્રી રામ ઘૂઘરામાંથી આશરે ૧૦ કિલો જેટલા છાપેલા ન્યૂઝપેપરનો નાશ કરવામાં આવ્યો હતો.






