૩૪ મુસાફરોના ઉમરાહ વિઝા સમયસર ન કરી બનાવટી વિઝા મોકલ્યા, એરપોર્ટ ઉપર રૂ.દોઢ લાખ આપવા ધમકી.
મોરબીના યુવકને વિશ્વાસમાં લઇ અમદાવાદના ઇસમે ૩૪ વ્યક્તિઓના સાઉદી અરેબિયા ઉમરાહ વિઝા માટે રૂપિયા ૪.૬૫ લાખ લઈ સમયસર વિઝા ન કરાવી, બનાવટી વિઝા મોકલતા ૧૦.૨૪ લાખની એર ટિકિટની નુકસાની કરાવી હતી. બાદમાં એરપોર્ટ પર દોઢ લાખ રૂપિયા ન આપો તો બહાર ન નીકળવા દેવાની ધમકી આપતાં સમગ્ર બનાવ અંગે અમદાવાદ બાદ ટ્રાન્સફર એફઆઈઆર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીના સર્ફરાજ અલારખાભાઈ દલવાણી ઉવ.૨૬ રહે.લોમજીવન પાર્ક-૨ વાવડી રોડ મોરબી વાળા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓને સાઉદી અરેબિયા ઉમરાહ માટે વિઝા કરાવી આપવાના બહાને અમદાવાદના આરોપી મહંમદ જુનેદ મહંમદ યુસુફ શેખ રહે. ફ્લેટ નં. આઈ/૨૦૪ હિમાલિયા ફુલકનુમા જુહાપુરા અમદાવાદ વાળાએ વિશ્વાસમાં લીધો હતો.
આરોપીએ ૩૪ મુસાફરોના વિઝા માટે કુલ રૂપિયા ૪,૬૫,૦૦૦ લઈ લીધા હતા અને એર ટિકિટ માટે ફરિયાદીએ રૂ. ૧૦,૨૪,૮૦૦/- ખર્ચ્યા હતા. છતાં સમયસર વિઝા ન કરાવી ખોટા બનાવટી વિઝાની પીડીએફ મોકલી હતી. અમદાવાદ એરપોર્ટ પર તપાસ દરમિયાન વિઝા ફર્જી હોવાનું બહાર આવતા સાઉદી અરેબિયા જવાની મુસાફરી અટકી ગઈ હતી. ત્યારબાદ આરોપીએ ફરી વિઝા કરવાની વાત કરી અને બાદમાં ઉમરાહથી પરત ફર્યા બાદ ફરિયાદીને ફોન પર દોઢ લાખ રૂપિયા નહીં આપો તો એરપોર્ટની બહાર ન નીકળવા દેવાની ધમકી આપી હતી.
આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૨), ૩૩૬(૨), ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.









