મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં માર્ગો પરના દબાણો દૂર કરવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે ગુરુવારે દિવસભર સઘન ઝુંબેશ હાથ ધરી હતી. કમિશનરના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને ઝૂંપડપટ્ટી તેમજ લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા.
જેમાં આજે સવારથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં એસ.પી. રોડ પાસે રોડ પર આવેલી ઝૂંપડપટ્ટી હટાવવામાં આવી હતી. ઉપરાંત રવાપર ગામ પાસે રોડ નિર્માણની કામગીરી ચાલી રહી હોય તે સ્થળેથી લારીધારકોને દૂર કરવામાં આવ્યા હતા. અવની ચોકડી વિસ્તારમાં પણ લારી-ગલ્લા હટાવી તેમની પાસે રહેલા કાંટા જપ્ત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત નરસંગ ટેકરી નજીક આવેલા હોકર્સ ઝોનની મુલાકાત લઈને હોકર્સ દ્વારા ફી ભરવામાં આવી છે કે નહીં તેની પહોંચની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ રવાપર રોડ પર પણ મુલાકાત લઈને રસ્તા પર ઉભેલા લારીધારકોને દૂર કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાની ટીમે નહેરુ ગેટ માર્કેટ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. નહેરુ ગેટથી જૂના બસ સ્ટેશન થઈ રામચોક સુધીના વિસ્તારમાં રસ્તા પર ઉભેલા લારી-ગલ્લાધારકોને દૂર કરવામાં આવ્યા હતા.






