મોરબી ઉમિયાસર્કલ પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા સુખી સંપન્ન પરિવારના યુવકે કથિત રીતે ચોરી કરવા આવેલ અજાણ્યા યુવાનને માર મારતા મોત નીપજ્યું: માર મારી વાકાનેરના સમથેરવાની સીમમાં ફેંકી આવ્યા બીજે દિવસે મોત થયું હોવાનું જાણવા મળતા રાજસ્થાન ભાગી છૂટ્યા : પોલીસ ચાર મહિનાથી કડી મેળવવા લાગી હતી કામે : અંતે એલસીબી ટીમને સફળતા મળી અને વેપારી યુવક સહિત છ ઈસમોની ધરપકડ
કહેવાય છે કે પાપ છાપરે ચડીને પણ પોકારે છે આવી જ એક ઘટના મોરબીમાં સામે આવી છે જેમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા આ ગુના પર થી પડદો ઉઠાવી લીધો છે અને મોરબીના વેપારી સહિત છ ઈસમો ની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.
આ વાત છે મોરબીની જેમાં મોરબીના પોષ વિસ્તાર ઉમિયા સર્કલ નજીક આવેલા ઉમિયાનગરમાં રહેતા સંદીપ ધનજીભાઈ ઝાલરીયાના રહેણાક મકાનમાં ગત તારીખ ૦૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સંદીપ ઝાલરિયા ઘરે જમતો હતો એ દરમ્યાન એક અજાણ્યો ઇસમ આવ્યો હતો જેને વેપારી સંદીપ ઝાલરીયા જોઈ જતા તેની તલાશી લેતા ખિસ્સામાંથી આરોપી સંદીપ ઝાલરીયાની કારની ચાવી અને એક્ટિવાની ચાવીઓ મળી આવતા સંદીપ ઉશ્કેરાયો હતો અને પકડાયેલ ઇસમ ચોરીના ઈરાદાથી આવ્યો છે તેવું પરિવારજનોને જણાવતા પરિજનોએ આ ચોરને પોલીસના હવાલે કરી દેવા સલાહ આપી હતી પણ ના સંદીપ ઝાલરિયાએ આ વ્યક્તિ સામે પોલીસમથક જઈ ચોરીનો ગુનો નોંધી પોલીસને સોંપવાને બદલે પકડાયેલ વ્યક્તિને સીધી જ સજા આપવી હતી અને હવે અહીંયાથી હત્યાના ગુનાની શરૂઆત થાય છે આ માટે સંદીપે તેના ડ્રાઇવર રાજેશ ડાભીને બોલાવી તેની ગ્રે ક્લરની ટોયોટા ઇનોવા કાર નંબર GJ 36 L 9881 માં બેસાડી તેના હળવદ તાલુકાના માથક ગામે આવેલ એમ્બિટો સોલાર ફાર્મમાં લઈ જવાયો હતો જ્યાં પહોચી સંદીપ ધનજીભાઇ ઝાલરીયા,એલિસ જસમતભાઈ ઉર્ફે જ્યંતિભાઈ ઝાલરીયા,દિવ્યેશ ગોવિંદભાઇ ઝાલરીયા મનુ ઉર્ફે વરુણ રૈયાભાઇ ગોલતર,ડ્રાઇવર રાજેશ રમેશભાઇ ડાભી અને રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવની સાથે મળી પકડેલ ચોરને પીવીસી પાઇપથી ઢોર માર માર્યો હતો જેને લઈને મૃતકને ગંભીર ઇજાઓ થઈ હતી.
૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માર માર્યા બાદ દવાખાને લઈ જવાને બદલે નિષ્ઠુર વ્યકિતઓ યુવકને જાનવરની માફક વાકાનેરના સમથેરવાની સીમમાં ફેંકી આવ્યા
ગત તારીખ ૦૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સંદીપ ઝાલરિયા અને તેની સાથેના સહ આરોપીઓએ સોલાર પ્લાન્ટમાં મૃતક ને બેફામ માર મારી એક જાનવરને ફેંકી આવે એમ ઈનોવા કારમાં નાખી વાકાનેર સમથેરવા ગામ પાસે સીમમાં ફેંકી આવ્યા હતા જો કે કહેવાય છે કે પાપ છાપરે ચડીને પોકારે તેમ આ અજાણ્યો ઇસમ મારની પીડામાં તડપી રહ્યો હશે અને યોગ્ય સારવાર ન મળતા અંતે તેનું મોત નીપજ્યું હતું તેમજ મળતી વિગતો મુજબ મૃતકના શરીર ના તમામ અંગ પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા.
૦૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વાકાનેર તાલુકા પોલીસને અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ
જોત જોતામાં તારીખ ૦૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ૧૧ :૪૫ કલાકે અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાકાનેર તાલુકા પોલીસને થાય છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વાકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલે મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પટલ મોકલ્યો હતો અને મૃતદેહના ઓળખ મેળવવા તેના શરીર પરના ટેટૂ નિશાન સાથે AI ની મદદ થી હિન્દી તથા ગુજરાતીમાં પ્રેસનોટ પણ જાહેર કરી હતી આ તપાસ વાકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલની ટીમ દ્વારા ચાલુ કરાઈ હતી.
૦૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વાકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
વાકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન તારીખ ૦૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મૃતકના પીએમ રિપોર્ટ આવ્યો જેમાં ડોક્ટરોએ વ્યક્તિનું મોત લાકડી કે હથિયારના મારથી થયેલ ગંભીર ઇજાઓના લીધે થયું હોવાનું જણાવ્યું હતું જેના પરથી પોલીસને આ વ્યક્તિની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું રિપોર્ટના આધારે તુરંત જ વાકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલ દ્વારા હત્યાની બીએનએસ ની કલમ ૧૦૨(૧),૫૪ ગુજરાત પોલીસ અધિનયમની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી મૃતકના પરિજનો અને હત્યારાઓની સર્વેલન્સ સ્કોડ મોબાઈલ નેટવર્ક અને સીસીટીવીના સહિતની તપાસ હાથ ધરી હતી.
મોરબી એલસીબીના રડારમાં હતો હત્યાનો ગુનો અને હત્યારાઓ
આ બાદ આ આંધળા અને દિશા વિહીન ગુનાની તપાસ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ સત્યેન્દ્રસિહ જાડેજા પાસે આવી મોરબી એસપી મુકેશ પટેલ, વાકાનેર ડીવાયએસપી એસ એચ શારડા સહિતના પણ આ તાપસમાં ઊંડાણ પૂર્વક રસ લઈ ઝીણવટભરી માહિતી મેળવતા હતા. સત્તત ચાર મહિના સુધી જુદી જુદી દિશામાં સીસીટીવી તપાસ્યા ,મોરબી જિલ્લાની તમામ ફેક્ટરીઓ માં શ્રમિકો ને ફોટો બતાવી ઓળખ મેળવવા તપાસ કરી એટલું જ નહીં પોલીસના બાતમીદારો હ્યુમનસોર્સ કામે લગાડ્યા અને આ હત્યારાઓ કોણ છે? મરણજનાર કોણ છે? હત્યા શા માટે નિપજાવવામાં આવી? આવા અનેક પ્રશ્નો મોરબી પોલીસને ખૂચતા હતા હત્યા નીપજાવી અને હત્યારાઓ ખુલ્લા ફરે એ મોરબી એસપી ડીવાયએસપી તેમજ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇને વાત પરવળે એવી નહોતી હત્યા કરી સમથેરવા ગામ નજીક મૃતદેહ ફેંકી ગયા હોવાથી આ એક વ્યક્તિનું કામ નથી અને આરોપીઓ જાણભેદુ હોવાનું પણ પોલીસને પૂરી આશંકા હતી એવામાં પોલીસને મળી ખુબ જ મહત્વની કડી જેને આખા કેસનો રૂખ બદલી નાખ્યો હતો.
મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દૂધ નું દુધ પાણીનું પાણી કરી આરોપીઓને શોધી કાઢ્યા
મોરબી ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે વાકાનેર ચાર માસ પહેલા મળેલા મૃતદેહ મોરબીમાં સંદીપ ધનજીભાઈ ઝાલરિયા અને તેની સાથે બીજા પાંચ ઇસમોએ માર મારવાથી મોત થયું છે જે બાદ મોરબી ક્રાઈમ બ્રાન્ચને આવા ગંભીર હત્યાના ગુનામાં વેપારી વ્યક્તિઓને સીધા આરોપીઓ ગણી ધરપકડ કરવું યોગ્ય ન લાગ્યું આથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સત્યેન્દ્રસિહ જાડેજા દ્વારા આરોપીઓની છેલ્લા ચાર માસની વિગતો તેમજ મૃતદેહ મળી આવ્યો તે સમય ની આજુબાજુની તારીખોનાં મોબાઈલ ટાવર લોકેશન અને તમામ ગતિવિધિઓ તપાસવાનું શરૂ કર્યું અને આ તમામ ને બોલાવી ક્રોસ વેરિફાઈ કરતા તમામ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને આ ગુનાને અંજામ આપ્યાનું પણ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા આવેલ મૃતકની પ્રેસનોટ બાદ આરોપીઓ સ્થળ પર ગયા હતા આરોપીઓ મોરબી ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ભાંગી પડ્યા અને આપી કબૂલાત
મોરબી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સત્યેન્દ્રસિહ જાડેજા સમક્ષ આરોપીઓએ કબૂલાત આપી હતી અને જણાવ્યું હતું કે તેઓ વાકાનેર તાલુકા પોલીસે મૃતકની પ્રેસનોટ જાહેર કર્યા બાદ તેઓને જાણ થતા ઘટના સ્થળ એટલે કે સમથેરવા ગયા હતા અને ત્યાં જઈ આ વ્યક્તિ તેઓએ માર્યો તે જ છે તેવી ખરાઇ કરી હતી.બાદમાં તેઓએ મળી રાજસ્થાન જઈ અને પુરાવાનો નાશ કપડા સળગાવી દીધા હતા અને સીસીટીવી નું ડીવીઆર પણ રાજસ્થાનમાં ફેંકી આવ્યા હોવાનું જણાવ્યું છે.કોઈને ધ્યાનમાં ના આવવા તમામ નુસખાઓ અજમાવ્યા હતા પણ પાપ છાપરે ચડીને પોકારે છે. અંતે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટાઈમ આ આરોપીઓ પાસે તમામ વિગતો મેળવી હત્યા કરવામાં વપરાયેલ ઈનોવા કાર અને ૦૮ મોબાઈલ મળી કુલ ૧૧ લાખ ૧૦ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી હતી હાલ આરોપીઓના રિમાન્ડ માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે હાલ પોલીસે આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ અને મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.
કોયડા સમાન કેસને ઉકેલી કાઢવા બદલ મોરબી પોલીસની રાજ્યભરના પોલીસ બેડામાં ચર્ચા
મોરબી ક્રાઈમ બ્રાન્ચ અને વાકાનેર તાલુકા પોલીસ દ્વારા સમય સૂચકતા વાપરી હત્યાનો ગુનો નોંધી આ ગુનાને શોધવા ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે અનેક વર્ષોમાં આવો કેસ આવતો હોય છે જેમાં કોઈ પરિવારજનો નથી કે કોઈ અંગત ફરિયાદી નથી છતા પણ પોલીસ ખૂબ ગંભીર નોંધ લઈ આ ગંભીર ગુના ને અંજામ આપતા આરોપીઓને હાલ કાયદાના ફેણ નીચે દબાવી દીધા છે આ સ્માર્ટ ગુનાઓ અને સ્માર્ટ ઓપરેન્ડરી વાપરતા ગુનેગારો માટે લાલ બત્તી સમાન કિસ્સો છે કે તમે ગમે તેટલી સાવચેતી થી કરો પણ ગુનો એ ગુનો જ છે ઉપરવાળાની ત્રીજી આંખ ખુલ્લી જ છે જે આવા અધિકારીઓની ટીમને નિકિત બનાવી આરોપીઓને સજા આપવા સારી દ્રષ્ટિ અને દ્રઢ મનોબળ તેમજ સારી વિચારસરણી આપી છે ઈમાનદારી થી આ કેસને સફળતા પૂર્વક ઉકેલવા બદલ પોલીસ બેડામાં મોરબી પોલીસની ખૂબ જ પ્રશંસા થઈ રાહી છે.
મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓની કામગીરીનું સફળ પરિણામ
આ ગુનાનો સફળતા પૂર્વક ઉકેલવામાં મોરબી એસપી મુકેશ પટેલ ની અધ્યક્ષતામાં વાકાનેર ડીવાયએસપી એસ એચ શારડા,મોરબી એલસીબી પીઆઈ સત્યેન્દ્રસિહ જાડેજા ,વાકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલ,પીએસઆઈ બી ડી ભટ્ટ,પેરોલ ફર્લો સ્કોડ પીએસઆઈ વી જી માલાની તેમજ મોરબી એલસીબી અને પેરોલ ફર્લો ની હોનહાર ટીમ રાત દિવસ મહેનત કરી હતી જેમાં તેઓને સફળતા મળી હતી.






