મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત યુવા મેયર શ્રી ઉત્તમ સુરાણીએ પદભાર સંભાળ્યા બાદ લજાઈ સ્થિત પવિત્ર જોગ આશ્રમની મુલાકાત લઈ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શહેરના સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના સાથે તેમણે પોતાની નવી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત અને ઉત્સાહી યુવા મેયર ઉત્તમ સુરાણીએ આજે લજાઈ નજીક આવેલ શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન જોગ આશ્રમની સૌજન્ય મુલાકાત લીધી હતી. મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ ખાસ આશ્રમના દર્શનાર્થે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન મેયર ઉત્તમ સુરાણીએ આશ્રમ ખાતે શિશ નમાવી ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા અને મોરબી શહેરના સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે આશ્રમના સંતો અને મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, જોગ આશ્રમ માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉર્જા અને માનવસેવાનું પ્રેરણાસ્ત્રોત છે. મોરબીના નાગરિકોની સેવા કરવાની જે મહત્વપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવી છે, તેને સંતોના આશીર્વાદ અને પરમાત્માની કૃપાથી સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણથી નિભાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે શહેરના વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા સતત કાર્યરત રહેશે. મોરબીને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ બની કામગીરી કરવામાં આવશે. મેયરની આ આધ્યાત્મિક મુલાકાતને શહેરમાં સકારાત્મક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે અને નાગરિકોમાં પણ નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.






