હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપ સચિવ રત્નેશ શાહ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. નવપ્રવેશી ભૂલકાઓને ભણતર અને ગણતર માટેના પાવન પગથિયે સ્નેહભીનો આવકાર અપાયો હતો. તેમજ તેજસ્વી તારલાઓનું બહુમાન કરાયું હતું.
બાળકોમાં પ્રાથમિક સ્તરથી જ ઉત્તમ શિક્ષણ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરીને દેશના જવાબદાર નાગરિકો તૈયાર કરવાના ઉમદા આશય સાથે હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે ગુજરાત સરકારના કાયદા વિભાગના ઉપ સચિવ રત્નેશ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો હતો. મહાનુભાવોએ નાના-નાના ભૂલકાઓ અને બાળકોનું વહાલભેર નામાંકન કરાવ્યું હતું. આ તકે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતા કાયદા વિભાગના ઉપ સચિવ રત્નેશ શાહે જણાવ્યું હતું કે, “બાળકો એ અખૂટ ઊર્જાનો સ્ત્રોત છે. આ ઊર્જા અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને વાલીઓ તેમજ શિક્ષકો વહેલી તકે ઓળખીને યોગ્ય દિશા પ્રદાન કરે તે અત્યંત અનિવાર્ય છે, જેથી બાળકનું કૌશલ્ય, આવડત અને જ્ઞાન દેશ તેમજ સમાજના ઉત્થાનમાં ઉપયોગી સાબિત થઈ શકે. આ કુમળા છોડ સમાન બાળકો જ આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ થકી જ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પનો મજબૂત પાયો નાખી શકાશે.”
આ પ્રસંગે શાળાના આંગણે પ્રથમવાર પગ મૂકતા ભૂલકાઓને આવકારવામાં આવ્યા હતા અને તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળાના વિવિધ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તેજસ્વી તારલાઓનું ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં પ્રકૃતિના જતનનો સંદેશ આપતું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને માર્ગ સલામતીના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ અવસરે હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ અને ઉપ પ્રમુખ સતીષભાઈ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હંસરાજસિંહ ગોહિલ, નગરપાલિકાના સદસ્યો, અગ્રણીઓ, વાલીઓ, શાળાના શિક્ષકો તેમજ બાળકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.






