પત્નીની સારવાર માટે પરિવાર રાજકોટમાં હતો ત્યારે તસ્કરોએ મકાનના દરવાજા અને કબાટના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો.
મોરબી તાલુકાના આંદરણા ગામે પરિવાર રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ગયો હોવાનો લાભ લઈ તસ્કરોએ બંધ રહેણાંક મકાનમાં ચોરી કરી હતી. જેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ અને ઘડિયાળ સહિત કુલ રૂ.૭.૩૬ લાખના માલમત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા કમલેશભાઈ મેરામણભાઈ બોરાણા ઉવ.૫૦ના પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ ગત તા.૧૬/૦૭ના રોજ પરિવાર સાથે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. દરમિયાન તેમના બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી બંને રૂમના લોખંડના કબાટના તાળા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા ૨૫ હજાર અને ટાઇટન કંપનીની ઘડિયાળ સહિત કુલ રૂ. ૭,૩૬,૯૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા.
બીજે દિવસે સવારે ફરિયાદીના ભાઈ દ્વારા ફોનથી ઘટનાની જાણ થતાં ફરિયાદી કમલેશભાઈ રાજકોટથી ઘરે પરત ફર્યા હતા અને ચોરીના બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) હેઠળ અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






