ટંકારાના નેકનામ ગામની સીમમાં જાંબુડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ ૨૪ વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યાના બનાવમાં તેના પતિ અને જેઠ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાની વાતને લઈને પરિણીતાએ વિરોધ કરતાં પતિ દ્વારા અવારનવાર ઝઘડો કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. જ્યારે જેઠ પણ પતિનો પક્ષ લઈ મદદગારી કરતા હોય, હાલ મૃતકની માતાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના જાબુ ગામે રહેતા મલીબેન મનસુખભાઇ પરમારની ૨૪ વર્ષીય દીકરી સુનિતાના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં ધાનપુર તાલુકાના પાવ ગામના માજુભાઈ ચીમનભાઈ સંગોડ સાથે થયા હતા. લગ્ન બાદ સુનિતા તેના પતિ સાથે રહેતી હતી. જે બાદ આશરે ચાર મહિના પહેલાં સુનિતા પોતાની માતાના ઘરે આવી હતી અને તેના પતિ માજુભાઈને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાની વાત કરી હતી. આ સંબંધ ન રાખવા બાબતે કહેતા પતિ અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને સાથે જ તેના જેઠ રાજુભાઈ પણ પતિનો પક્ષ લઈ ચડામણી કરતા અને મેણા-ટોણા મારતા હતા. ત્યારબાદ પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા સમજાવટ કરવામાં આવતા સુનિતાને તેના પતિ સાથે મોકલવામાં આવી હતી.
બાદમાં બંને પતિ-પત્ની ટંકારા તાલુકાના નેકનામ ગામે મજૂરી કામ માટે આવ્યા હતા. આ દરમિયાન તા. ૧૯/૦૭/૨૦૨૬ના રોજ સુનિતાએ જાંબુડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ત્યારે મૃત્યુના બનાવમાં અગાઉ અ.મોતની નોંધ કરવામાં આવી હતી. બાદમાં મૃતકની માતા મલીબેન પરમારે તેમના જમાઈ આરોપી માજુભાઈ ચીમનભાઈ સંગોડ અને આરોપી રાજુભાઈ ચીમનભાઈ સંગોડ બંને રહે. પાવ ગામ તા. ધાનપુર જી. દાહોદ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






