માળીયા તાલુકાના નાનાદહિંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. તપાસ દરમિયાન એક આરોપીને ચોરીમાં ગયેલા છતર, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 87 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગત 28 મેના રોજ નાનાદહિંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના કુલ 13 છતર, આશરે 400 ગ્રામ વજનના કિંમતી ચાંદીના છતર ચોરી થયાની ફરિયાદ માળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ થયા બાદ મામલો વણશોધાયેલ હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કવોડે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સીસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ હિરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-36-AQ-4125 લઈને માળીયા તરફથી મોરબી તરફ આવી રહ્યો છે અને તેની પાસે મંદિર ચોરીનો મુદ્દામાલ છે. જેના આધારે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી પોલીસે આરોપી કિશનભાઈ સુરેશભાઈ જાનીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મહાકાળી માતાજીના મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપી પાસેથી પાંચ ચાંદીના છતર, રૂ. 32 હજારની રોકડ, હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ, મોબાઈલ ફોન, કાતર અને બેગ સહિત કુલ રૂ. 87 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુ પૂછપરછમાં આરોપીએ લુંટાવદર ગામના મોમાઈ માતાજીના મંદિર, હળવદના મેલડી માતાજી મંદિર, મામાદેવ મંદિર તેમજ ઘુટ-માંડલ વચ્ચે આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં પણ ચોરી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આર્થિક સંકળામણમાં આવી જતા ગામડાં અને શહેરોમાં રેકી કરીને અવાવરુ મંદિરોને નિશાન બનાવતો હતો. મોરબી પોલીસે પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે ધાર્મિક સ્થળોએ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને રાત્રિના સમયે દાગીના તથા દાનપેટીની રકમ સુરક્ષિત સ્થળે રાખવામાં આવે જેથી આવી ચોરીની ઘટનાઓ અટકાવી શકાય.






