મોરબી તથા ટંકારામાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવોમાં મચ્છુ નદીમાં ડૂબી જવાથી ૬૩ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે વીસીપરામાં ૪૦ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઉપરાંત ટંકારાના બંગાવડીમાં ગર્ભવતી મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ મોરબી પોલીસે ત્રણેય મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના રામઘાટ પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી કમલેશભાઈ છોટાલાલભાઈ સોમૈયા ઉવ.૬૩ રહે. નાની પારેખ શેરી મોરબી વાળાનું મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગર સોસાયટીમાં કેતનભાઈ દેવજીભાઈ ચાવડા ઉવ.૪૦ રહે. વિજયનગર સોસાયટી વીસીપરા મોરબી વાળાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હતું. જ્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં સંજયસિંહ વજેસિંહ જાડેજાની વાડીમાં રહેતા રાધાબેન મનસુખભાઈ બીલવાલ ઉવ.૩૨ મૂળ ડુંગલાવાની ગામ તડવી ફળિયા જી.અલીરાજપુર મધ્યપ્રદેશના વતની એવા સગર્ભા મહિલાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.






