Thursday, May 2, 2024
HomeGujaratઆજે ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ

આજે ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ

ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ અખાત્રીજના પાવન પર્વે આવી રહી છે. પરશુરામનું જન્મસ્થળ મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.

- Advertisement -
- Advertisement -

પરશુરામની માતૃભકિત અને ભાતૃપ્રેમનું દ્રષ્ટાંતનું ઉદાહરણ જોતા એક વખત પરશુરામની જન્મદાત્રી દેવી રેણુકા નિત્યક્રમ અનુસાર સ્નાનાદીથી પરવારી પુષ્પો વગેરે લઇને આશ્રમ તરફ આવતા હતા ત્યારે જંગલમાં એક યુગલની પ્રણયક્રિડા જોઇને રેણુકાના મનમાં મોહમાયા ઉત્પન્ન થઇ, પરિણામે તેમની અસામાન્ય સિધ્ધિઓ ઉપર પાણી ફરી વળ્યું, આ આખીયે ઘટના જાણી જમદગ્નિ ઋષિ ભારે ક્રોધિત થયા અને પોતાના પુત્રોને રેણુકાના શિરચ્છેદની આજ્ઞા કરી. ચારમાંથી એકેય દિકરો માતાની હત્યા માટે તૈયાર ન થતાં જમદગ્નિ ભારે ક્રોધિત થયા અને તેમના ક્રોધની આગથી ચારેય દિકરા ભસ્મીભુત થયા. માતા પ્રત્યે પરમ લાગણી હોવા છતાં પિતૃઆજ્ઞાને માન આપી પરશુરામે દેવી રેણુકાનો વધ કર્યો, અને પોતાની જન્મદાત્રીનો વધ માત્ર પિતૃઆજ્ઞાને કારણે કરવો પડયો હોવાથી પરશુરામ અત્યંત દુઃખમાં સરી પડયા, ત્યારે પિતા જમદગ્નિ તેમને કોઇ વરદાન માંગવા કહે છે ત્યારે પરશુરામ માતા સહિત પોતાના ચારેય ભાતૃઓને નવજીવન આપવા પિતાને પ્રાર્થના કરે છે. પિતા જમદગ્નિ પ્રસન્ન થઇને માતા રેણુકા અને ચારેય ભાઇઓને સજીવન કરે છે. આમ ભગવાન પરશુરામની માતૃભકિત અને ભાતૃપ્રેમ બેજોડ હતો.

હૈહવકુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે રાજા હતો. તેણે ગુરૂ દતાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઇનાથી નાશ ન થઇ શકનાર તેવી આઠ સિધ્ધિઓ મેળવી એક વખત ઘોર જંગલમાં મૃગયા માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિના આશ્રમ જઇ ચડયો, ત્યાં તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવા પોતાના સૈનિકોને આજ્ઞા કરી એટલે બરાડા પાડતી કામધેનુ તેના વાછરડા સાથે બળજરીથી મહિષ્પતી નગરી તરફ લઇ ચાલ્યો. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દ્રષ્ટતા સાંભાળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ, તથા ધનુષ્ય લઇ સહસ્ત્રાર્જુનની પાછળ દોડયા. પરહુરામે સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલ બાહુઓવાળા તેના મસ્તકને પણ ઉડાડી દીધું. આમ સહસ્ત્રાર્જુનના વધ થયો અને તેના દશ હજાર પુત્રો પણ ભયથી નાસી ગયા. જોકે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયા. પરશુરામને તેણે ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. આમ પરશુરામ એક વજ્ર સુધી તીર્થસેવનમાં નીકળી પડયા.

આ દરમ્યાન સહસ્ત્રાર્જુનના પુત્રો પોતાના પિતાનું વેર વાળવા જમદગ્નિના આશ્રમે આવ્યા. અને જમદગ્નિ ઋષિનું મસ્તક કાપીને લઇ ગયા. પરશુરામ તીર્થયાત્રાએથી પરત ફર્યા અને પોતાની માતાને કલ્પાંત કરતાં જોયા. માતાને કલ્પાંત કરતા જોઇને પરશુરામે ફરીથી ફરશી ઉઠાવી ક્ષત્રિયોનો સંહાર કરીને સહસ્ત્રાર્જુનના દસ હજાર પુત્રોના મસ્તક કાપી નાંખ્યા. આમ પિતા વધને નિમિત બનાવી પરશુરામે એકવીસ વખત પૃથ્વીને નિઃક્ષત્રિય બનાવી હતી અને પિતૃભકિતનો પરિચય આપ્યો હતો.

પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું હતું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી, ત્યારથી તેનું નામ પરશુરામ પડયું હતું. શિવપુરાણ, રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો તેમજ વિવિધ ધાર્મિક ગ્રંથોમાં પણ ભગવાન પરશુરામનો ઉલ્લેખ જોવા મળે છે. રામાયણમાં સીતા સ્વયંવર વખતે ભગવાન પાશુપતનું ધનુષ્ય ભંગ કરવાનો પ્રસંગ હોય કે મહાભારતમાં કાશી નરેશની પુત્રીઓના સ્વયંવરમાંથી ભીષ્મ દ્વારા રાજકુમારીઓના હરણની ઘટના હોય ત્યારે પરશુરામે એક વીર પુરૂષ તરીકેની ભૂમિકા ભજવી છે.

અગ્નિપુરાણમાં દર્શાવ્યા અનુસાર પરશુરામે મહેન્દ્ર પર્વત ઉપર વસવાટ કર્યો હતો. પરશુરામે સમુદ્રને ભેદીને જમીન વિસ્તાર ઉભો કર્યો હતો જે કોંકણ તરીકે આજેય પ્રખ્યાત છે. આમ પરશુરામનો જન્મ અનેક રહસ્યોથી ભરપૂર છે અને દેવતાઓ માટે પડકારરૂપ છે. ભારતીય સમાજ ભગવાન પરશુરામને શૌર્યના પ્રતીક તરીકે યાદ કરીને અખાત્રીજના રોજ પરંપરાગત પરશુરામ જયંતી ધામધૂમ પૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!