જૂની અદાવતનો ખાર રાખી ઘરની બહાર બેઠેલા હૈદરભાઈ મોવર પર અંધાધૂંધ ફાયરિંગ, આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા.
માળીયા(મી)ના જૂના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં ગત સાંજે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉપર જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને લઈને હુમલો થયાનું સામે આવ્યું છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે હત્યારા આરોપીઓને પકડી લેવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
માળીયા(મી)માં ગત સાંજે ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જૂના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હૈદરભાઈ સુમારભાઈ મોવર ઉવ.૫૧ પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સાંજે આશરે ૭:૩૦ વાગ્યાના અરસામાં આરોપી સફીર મુસાભાઈ મોવર ત્યાં પહોંચ્યો હતો અને હૈદરભાઈ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હૈદરભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સાથે અન્ય એક વ્યક્તિ પણ હાજર હતો. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.






