પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY 2.0) અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના હકનું ઘર મળી રહે તે દિશામાં ટંકારા નગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. યોજનાના સુચારુ અમલીકરણના ભાગરૂપે આજે કુલ ૩૬ લાભાર્થીઓ સાથે વિધિવત રીતે ત્રિપક્ષીય કરાર (Tripartite Agreement) કરવામાં આવ્યા હતા.
આ કરાર વિધિ દરમિયાન સરકારી અધિકારીઓ અને બાંધકામ એજન્સીના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આવાસ યોજનાના MIS અધિકારી ચાંદની લાડોલા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તેમજ આવાસ નિર્માણ સાથે જોડાયેલી એજન્સી સવજાણી ભાઈ એસોસિએશનના જવાબદાર કર્મચારી લલિત સરેસા હાજર રહ્યા હતા. તમામ પક્ષોની હાજરીમાં કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાને પારદર્શક રીતે આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
કરારની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ૩૬ પરિવારોમાં પોતાના પાકા ઘરની માલિકી મળવાનો આનંદ જોવા મળ્યો હતો. MIS અધિકારી ચાંદની લાડોલા દ્વારા ઓનલાઈન ડેટા મેનેજમેન્ટ અને લાભાર્થીઓની પાત્રતા ચકાસણીની કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી, જેથી કોઈ ક્ષતિ ન રહે.
આ પ્રસંગે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ તમામ ૩૬ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વહીવટી સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. સાથે પાલિકાના તમામ કાચા મકાનો અને પ્લોટ ધારકોને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું






