મોરબી જીલ્લામાં બે અલગ-અલગ અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી તાલુકાના રંગપર ગામે પંચરની દુકાનમાં રહેતામૂળ કેરળના વતનીનું બિમારીના કારણે મોત થયું હતું, જ્યારે વાંકાનેર તાલુકામાં સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા એક મજૂરે પત્ની સાથે થયેલી વાતનું મનમાં લાગી જતાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રથમ અપમૃત્યુની મળતી વિગત મુજબ, મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી જયશક્તિ હોટલના કમ્પાઉન્ડમાં પંચરની દુકાનમાં રહેતા ગોપાકુમાર રાઘવન નાયર ઉવ.૫૫ મૂળ કેરળના તિરુવનંતપુરમ જીલ્લાના વતની ગત તા.૨૩/૦૬ના રોજ રાત્રે સૂઈ ગયા બાદ સવારે જાગ્યા નહોતા. તેમને તપાસતા તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બિમારીના કારણે મૃત્યુ થયું હતું. હાલ આ મામલે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
બીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેર તાલુકાના માટેલ-ઢુવા રોડ પર આવેલી એરાકોન સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની દસીયાભાઈ લચ્છીભાઈ મુનીયા ઉવ.૨૫એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીએ વધુ મહેનત કરીને બચત કરવાની વાત કરતાં તે વાતનું મનમાં લાગી આવતા મજૂરે આ પગલું ભરી લીધું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






