તા. ૨૩ અને ૨૫ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન: અનધિકૃત સ્થળે વિસર્જન ન કરવા મહાનગરપાલિકાની સૂચના
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ દરમિયાન ગણેશ વિસર્જનની કામગીરી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૩/૦૯/૨૦૨૬ અને ૨૫/૦૯/૨૦૨૬ના રોજ થનારા વિસર્જન માટે શહેરમાં ચાર પીકઅપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે મૂર્તિઓના વિસર્જન માટે લીલાપરથી વીરપર જતા રસ્તા પર આવેલી ખાણ નિયત કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકો અને ગણેશ મંડળોને સરળતા રહે તે માટે એમ.પી. સેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, વી.સી. ફાટક પાસે, એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં એમ ચાર પીકઅપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકો, શ્રદ્ધાળુઓ અને ગણેશ મંડળોને શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે અન્ય કોઈ અનધિકૃત સ્થળનો ઉપયોગ ન કરવા અને માત્ર લીલાપર-વીરપર રોડ પર આવેલી નિયત ખાણ ખાતે જ વિસર્જન કરવા અપીલ કરી છે. વિસર્જન સ્થળે જરૂરી પ્રાથમિક સુવિધાઓ તેમજ સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. સૌને તંત્રની ટીમને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.






