ટંકારા : વાઘગઢ ગામની સીમમાં આવેલ ખેતરે રાત્રીના આધેડ ખેડૂત સુતા હોય ત્યારે બે ઈસમો દ્વારા ખેડૂતને ઢીકાપાટુનો માર મારી, સાથળના ભાગે છરીનો એક ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી, અગાઉ ગામના ખેડૂત સાથે માથાકૂટ કરતા બંને હુમલાખોર ઇસમોને માથાકૂટ ન કરવા સમજાવવામાં આવ્યા જતા, જેનો ખાર રાખી હુમલો કરાયો હતો. હાલ ટંકારા પોલીસે બન્ને હુમલાખોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના વતની વનરાજસિંહ મંગળસિંહ ઝાલા ઉવ.૪૮ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી યોગેશ તુલસીભાઈ કાસુન્દ્રા તથા આરોપી મનોજ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બન્ને. ઘુનડા(ખાનપર) તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરીયાદી વનરાજસિંહ આજથી આશરે સાત-આઠ દિવસ પહેલા વાડીની બાજુમાં બન્ને આરોપીઓ વનરાજસિંહના ગામના રમભા ઝાલા સાથે માથાકુટ કરતા હોય જેથી વનરાજસિંહે બોલાચાલી ઝધડો ન કરવા સમજાવેલ હોય જે બાબતનો ખાર રાખી ગત તા.૦૧/૦૬ ના રોજ વનરાજસિંહ પોતાના વાઘગઢ ગામની પાછળ આવેલ ખેતરે સુતા હોય ત્યારે બંને આરોપીઓ ત્યાં આવી વનરાજસિંહને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમિયાન આરોપી યોગેશ કાસુન્દ્રાએ વનરાજસિંહને છરી વડે સાથળના ભાગે એક ઘા મારી બન્ને આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત વનરાજસિંહને સારવાર અર્થે પ્રથમ ટંકારા સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. જ્યાં વનરાજસિંહને ત્રણ ટાંકા આવ્યા હતા. હાલ પોલીસે બન્ને આરોપી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.