બે પડોશી પરિવાર વચ્ચે ઘર સામે ન બેસવાના ઠપકાથી શરૂ થયેલ વિવાદ સશસ્ત્ર ધીંગાણામાં ફેરવાયું, બંને પક્ષ સામે ફરિયાદ.
મોરબી શહેરના વીસીપરાના વાડી વિસ્તારમાં ઘર સામે ન બેસવાના ઠપકા મામલે બે પડોશી પરિવારો વચ્ચે ધીંગાણું થયુ હતું. છરી, ધારીયા, લોખંડના પાઈપ, બેઝબોલના ધોકા સહિતના હથિયારોથી બંને પક્ષોએ સામસામે હુમલાઓ કરતા કુલ ૧૦થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાબતે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં ૨૪મી જૂન, ૨૦૨૫ના રોજ રાતે આશરે ૧૦:૩૦ વાગ્યે એક સામાન્ય ઠપકાથી શરૂ થયેલો વિવાદ બંને પડોશી પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણામાં પરિણમ્યો હતો. જેમાં પ્રથમ ફરિયાદમાં ફરિયાદી જીગ્નેશ ઉર્ફે કાનો ગોવિંદભાઈ રાવા ઉવ.૩૩ એ આરોપી દાઉદભાઈ ઉમરભાઈ જામ, રાયધન દાઉદભાઈ જામ, નઝમાબેન ઉમરભાઈ જામ, અમિનાબેન ઉમરભાઈ જામ, લતીફ દાઉદભાઈ જામ, દાઉદભાઈનો ભાણેજ નવાબ, જાવેદ મેમણ એમ કુલ ૭ આરોપીઓ રહે. વીસીપરા વાડી વિસ્તાર મોરબી વાળા વિરુદ્ધ પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, દાઉદ ઉમરભાઈ જામ અને તેના પરિવારજનો સહિત કુલ સાત આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં છરી, ધારીયા, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલામાં જીગ્નેશભાઈ સહિત તેમના પરિવારના ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તથા ઘર પાસે પાડેલ રિક્ષા અને મોટરસાયકલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
બીજી તરફ, દાઉદ ઉમરભાઈ જામ ઉવ.૪૪ દ્વારા આરોપી જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવિંદભાઈ ભરવાડ, વિજય ગોવિંદભાઈ ભરવાડ, મહેશ ગોવિંદભાઈ ભરવાડ તથા બાબુ ગોવિંદભાઈ ભરવાડ ચારેય રહે. વીસીપરા વાડી વિસ્તાર મોરબી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી કે જીગ્નેશ ભરવાડ અને તેના ત્રણ ભાઈઓએ કુહાડી, તલવાર અને લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. હુમલામાં દાઉદભાઈ, તેમના પુત્ર રાયધન, પત્ની નઝમાબેન તથા પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા વીસીપરા વાડી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, ત્યારે હાલ બી ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે કુલ ૧૧ આરોપીઓ સામે ગુનો નોંધી તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે