મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા યુવકના નામે આર્થિક લેવડ દેવડનો ગંભીર બનાવ સામે આવ્યો છે.વર્ષ ૨૦૧૭-૧૮ના ટેક્સ રીટર્ન દરમિયાન યુવકને ઇન્કમટેક્સ વિભાગમાંથી જાણ થઈ કે તેમના પાનકાર્ડનો ઉપયોગ કરી અન્યો દ્વારા ખોટી પેઢી ચલાવવામાં આવી છે, જેમાં કરોડો રૂપિયાની રોકડ લેવડદેવડ કરવામાં આવ્યું છે. તેમણે આ બાબત સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
મોરબી મહેન્દ્રનગરના ક્રાંતિજ્યોત પાર્કમાં રહેતા નિકુંજભાઈ હિંમતલાલ જાવીયા (ઉવ.૩૫) સાથે પોતાની ઓળખના દસ્તાવેજોનો દુરૂપયોગ થયો હોવાનું બનાવ સામે આવતા તેઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી શાહબુદ્દીનભાઈ રહેમાણી (રહે. રવાપર રોડ મોરબી) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, કે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન લાલપર શક્તિ ચેમ્બર-૨ ખાતે આવેલી “એ.બી.સી. સિરામીક” કંપનીમાં નિકુંજભાઈ નોકરી કરતા હતા, તે એ.બી.સી. કંપનીના માલિક આમીનભાઈ શાહબુદ્દીનભાઈ રહેમાણી રહે. રવાપર રોડ વાળાને અન્ય કોઈ સાથે ઝઘડો થતા નિકુંજભાઈ નોકરી છોડી દીધી હતી. ત્યારે નોકરી છોડતી વખતે તેમના અમુક મહત્વના ડોક્યુમેન્ટો, જેમ કે પાસપોર્ટ, પાનકાર્ડ અસલ દસ્તાવેજોની ફાઇલ કંપનીની ઓફિસમાં રહી ગયા હતા. જે બાદ અંદાજે ૨૦ દિવસ બાદ તેમને તેમના ડોક્યુમેન્ટ પાછા મળ્યા હતા. જે બાદ નિકુંજભાઈને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી ૨૦૧૭-૧૮ના વાર્ષિક રિટર્ન સંદર્ભે નોટિસ મળતાં નિકુંજભાઈએ પોતાના સી.એ. અને વકીલ દ્વારા તપાસ કરાવતા જાણવા મળ્યું કે, પોતાના પાન કાર્ડ નંબર ઉપર “ગોપાલ એજન્સી” નામે પેઢી ખોલવામાં આવી હતી અને તેનું કરન્ટ એકાઉન્ટ એક્સીસ બેંક ચંદ્રપુર શાખામાં ખોલવામાં આવ્યું હતું, જેમાંથી રૂ. ૩.૫૮ કરોડનો વ્યવહાર થયો હતો.
જે બાદ નિકુંજભાઈએ એક્સીસ બેંકમાં તપાસ કરતાં ખાતું ખોલવા માટેના ફોર્મમાં તેમનો ફોટો અને ખોટી સહીઓ હતી અને ત્રાજપર ગ્રામ પંચાયતના દાખલામાં નામ ફેરફાર કરીને તેમનું નામ નાખવામાં આવ્યું હતું. આમ આ તમામ ફ્રોડ પાછળ આરોપી “આમીનભાઈ રહેમાણી”ની સંડોવણી હોવાનું સામે આવતા નિકુંજભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે