માળીયા(મી)-કંડલા હાઇવે ઉપર કચ્છથી આઇસર ગાડીમાં ૯ ભેંસ અને ૬ પાડરડા એમ કુલ ૧૫ અબોલ જીવોને ટુક દોરડાથી બાંધી લઈ જતા મોરબીના ગૌરક્ષકો દ્વારા બચાવી લેવામાં આવ્યા છે, આ સાથે આઇસર ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી મહેન્દ્રનગર ચોકડી ક્રાંતિજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરક્ષક નિકુંજભાઈ લાલિતભાઈ ભુત દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં આઇસર રજી.ન. જીજે-૧૨-સીટી-૨૪૫૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં નિકુંજભાઈ તથા તેમના સાથી ગૌરક્ષક સંદીપભાઈ પારેખને બાતમી મળેલ કે અબોલ જીવો ભરેલ આઇસર કચ્છ તરફથી આવવાની છે, જેથી તેઓ માળીયા(મી)- કંડલા હાઇવે ઓનેસ્ટ હોટલ નજીક વોચમાં હોય ત્યારે ઉપરોક્ત આઇસર ત્યાં શંકાસ્પદ રીતે ઉભી રહી હતી. જેથી તેમણે ગાડી ચેક કરતાં અંદર ૯ ભેંસો અને ૬ પાડરડા કુલ ૧૫ પશુઓને ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધેલા અત્યંત દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. જેથી આઇસર ચાલક ઉમરભાઈ સાલમભાઈ મકવા ઉવ. ૫૫ રહેવાસી અંજાર કચ્છ વાળા પાસેથી અબોલ પશુઓની હેરાફેરી માટેના આધાર દસ્તાવેજો માંગવામાં આવ્યા, પરંતુ કોઈ પરમિટ કે પ્રમાણપત્ર તેમના પાસે ન હોય, જેથી તુરંત આઇસર ગાડી માળીયા(મી) પોલીસ મથકે લઈ જવામાં આવી હતી, જ્યાં પોલીસે આઇસર ચાલક આરોપી વિરુદ્ધ નિકુંજભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.