મોરબી નજીક રફાળેશ્વર મેળા દરમિયાન મકનસર ગામના યુવાનને છરી બતાવી મારપીટ કરવાના બનાવમાં ચાર આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે ફરિયાદને આધારે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, નવા મકનસર વાદીપરામાં રહેતા રવિભાઈ દિનેશભાઈ નંદેસરીયા ઉવ.૨૪ એ આરોપી રવિ, સાવન તથા અજાણ્યા બે ઈસમો બધા રહે.મકનસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૧૫/૦૨ના રોજ રફાળેશ્વર મેળામાં તેઓ પોતાના ભાઈ ખુશાલ તથા મિત્રો સાથે ગયા હતા. જ્યાં રાત્રે મેળાના મેદાનમાં તેમના ગામના તેમનો મિત્ર આરોપી રવિ અને સાવન મળ્યા હતા. મસ્તીમાં થયેલી બોલાચાલી બાદ આરોપી સાવન દ્વારા જપાજપી કરી જાપટો મારવામાં આવી હતી ત્યારબાદ તેમની સાથે આવેલા બે અજાણ્યા વ્યક્તિઓમાંથી એકે છરી કાઢી ધમકી આપી હતી અને ચારેયે મળી ફરિયાદી પર આડેધડ મારપીટ કરી હતી. આ દરમિયાન ફરિયાદીનો ભાઈ ખુશાલ વચ્ચે પડતા તેને પણ લાત મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. હુમલા બાદ ફરિયાદી રવીને ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. હાલ તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









