મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાત્રિ દરમિયાન નાઈટ ડ્રાઈવ યોજી ફૂટપાથ પર રહેતા ૨૫ ઘરવિહોણા લોકોને મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. આશ્રયગૃહમાં રહેવા-જમવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે.
મોરબી શહેરમાં રહેતા ઘરવિહોણા અને નિરાધાર લોકોને સુરક્ષિત આશ્રય મળે તે હેતુથી મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ફૂટપાથ પર સુતેલા લોકોને સ્થળ પર જઈ કાઉન્સેલિંગ કરી તેમને મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા. આ આશ્રયગૃહમાં ઘરવિહોણા લોકોને વિનામૂલ્યે રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક કરાયેલી શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. યુ.સી.ડી. શાખા તથા સંસ્થાના સ્ટાફે સંયુક્ત રીતે રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ ઘરવિહોણા લોકોને આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા, જેથી ઠંડી અને અન્ય પરિસ્થિતિઓને કારણે તેમના આરોગ્ય પર કોઈ વિપરીત અસર ન પડે. આ ડ્રાઈવ દરમિયાન કુલ ૨૫ ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહમાં પહોંચાડવામાં આવ્યા હતા.









