મોરબી તાલુકાના જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોના આરોગ્ય હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને કરાયેલ રજુઆત મુજબ, નવા જાંબુડીયા વિસ્તારમાં હાલ પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, પરંતુ તે રફાળેશ્વર ગામથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર આવેલ છે. રફાળેશ્વર વિસ્તારમાં અંદાજે 5000થી વધુ વસ્તી વસે છે, જેમાં મજૂર વર્ગની સંખ્યા નોંધપાત્ર છે. આરોગ્ય સેવાઓ માટે લોકોને લાંબા અંતર સુધી જવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે, તાત્કાલિક સારવાર અને પ્રાથમિક આરોગ્ય સુવિધા ગામ નજીક ઉપલબ્ધ થાય તો ગ્રામજનોને મોટી રાહત મળશે. ખાસ કરીને વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોને આરોગ્ય સેવા માટે દૂર જવું પડતું હોવાથી મુશ્કેલીઓ વધી રહી છે. આથી રફાળેશ્વર ગામે અલગથી પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયત દ્વારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો અને પંચાયત તરફથી વિનંતી કરવામાં આવી છે.









