શ્રી રાજેન્દ્ર કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળાએ શિક્ષણક્ષેત્રે ફરી એક વખત નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે 100 ટકા આવતાં વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકમંડળમાં ખુશીની લાગણી ફરી વળી છે.
આ વર્ષે શ્રી રાજેન્દ્ર કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળાના કુલ 39 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તમામ વિદ્યાર્થીઓ સફળ થતાં શાળાએ શતપ્રતિશત પરિણામ નોંધાવ્યું છે. આ સિદ્ધિ બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી સભ્યોએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. શાળા છેલ્લા 57 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સેવા આપી રહી છે. સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ શેરશીયા દ્વારા સ્થાપિત આ સંસ્થાએ શિક્ષણ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે સતત પ્રોત્સાહન આપ્યું છે. વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ માટે પ્રેરણા આપવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી કમલાબેન ઠાકરશીભાઈ માકાસણા (હાલ અમેરિકા) તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા ઇનામો અને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેનો સકારાત્મક પ્રભાવ પરિણામમાં જોવા મળે છે. શાળાની આ સફળતા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ માટે એક પ્રેરણારૂપ બની છે.





