હળવદ તાલુકાના કડીયાણા ગામે વાડીમાંથી સબમર્શીબલ મોટરના કેબલ વાયર ચોરી કેસમાં સંડોવાયેલા બે આરોપીઓના મોરબી સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. આરોપી પક્ષ તરફથી મોરબીના સિનિયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાએ કાયદાકીય દલીલો રજૂ કરી હતી.
હળવદ તાલુકાના કડીયાણા ગામની બાર બોર સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાંથી આશરે રૂ.૧ લાખના સબમર્શીબલ મોટરના કોપર કેબલ વાયર ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સોએ વાડીમાં આવેલી રૂમ ઓરડીના તાળા તોડી અંદર પ્રવેશ કરી આશરે ૧૬૦૦ ફૂટ લાંબો ૬ એમ.એમનો કોપર કેબલ વાયર ચોરી કરી લઈ ગયા હતા. આ મામલે હળવદ પોલીસે બીએનએસની કલમો દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે આરોપી કેશુભાઈ ઉકાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. બાદમાં આરોપીએ કેવલ રૂગનાથભાઈ ડાભી અને મનસુખ ચંદુભાઈ ડાભીના નામ સહઆરોપી તરીકે આપ્યા હતા. જેથી બંને આરોપીઓએ મોરબીના સિનિયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આરોપી પક્ષ તરફથી કાયદાકીય દલીલો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુપ્રીમ કોર્ટના સિધારામ સતલીંગપ્પા વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસના ચુકાદાને ધ્યાનમાં રાખી આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
આ કેસમાં એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા ઉપરાંત જીતેન અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, જયદીપ મહેતા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા અને જયોતિકા કુરીયા રોકાયેલા હતા.






