મની ટ્રાન્સફર વ્યવસાય સાથે જોડાયેલા યુવકને એક્ટિવા સાથે પછાડી છરી બતાવી અને મરચાની ભૂકી છાંટી રોકડ ભરેલો થેલો લૂંટી લેવાયો.
મોરબીના સરતાનપર રોડ પર ધોળા દિવસે લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં માણેકવાડા ગામના ફારુકભાઈ રજાકભાઈ સુમરા નામના મનીટ્રાન્સફર વ્યવસાય સાથે જોડાયેલા યુવક પાસેથી કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રૂ.૮.૩૮ લાખની લૂંટ ચલાવી હતી. હુમલાખોરોએ યુવકને એક્ટિવા સાથે પછાડી છરી બતાવી અને મરચાની ભૂકી છાંટી રોકડ ભરેલો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા.
મોરબી તાલુકા વિસ્તારમાં આવેલા સરતાનપર રોડ પર ધોળા દિવસે ફિલ્મી ઢબે લૂંટની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે ફારુકભાઈ રજાકભાઈ સુમરા ઉવ.૨૬ રહે. માણેકવાડા તા.જી.મોરબી વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, ફારુકભાઈ મની ટ્રાન્સફરનો વ્યવસાય કરે છે અને અલગ અલગ મોબાઈલ દુકાનોમાંથી કલેક્શન ઉઘરાવે છે. ત્યારે ગઇકાલ તા.૧૮ મેના રોજ સવારે ઘરેથી એકટીવા રજી.નં. જીજે-૩૬-એએન-૫૭૦૨ લઈને નીકળ્યા બાદ તેઓએ વિવિધ સ્થળોએથી રૂપિયા ઉઘરાવ્યા હતા. બપોર સુધીમાં તેમની પાસે કુલ રૂ.૯.૮૯ લાખનું કલેક્શન એકત્ર થયું હતું, જે તેમણે પોતાના થેલામાં રાખ્યું હતું.
ત્યારબાદ તેઓ એક્ટિવા લઈને સેન્સો ચોકડીથી મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી સફેદ રંગની સ્વિફ્ટ કાર રજી.નં. જીજે-૨૭-કે-૧૧૨૬એ તેમના એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. જે બાદ કારમાંથી ત્રણ અજાણ્યા શખ્સો ઉતર્યા હતા. અને ત્રણેયે મળી ફરિયાદી સાથે ઝપાઝપી કરી છરી બતાવી તથા મરચાની ભૂકી છાંટી થેલો ઝૂંટવી લઈ બાદ, હુમલાખોરો થેલામાંથી રૂપિયા કાઢી થેલાનો ઘા કરીને નાસી ગયા હતા. બાદમાં થેલો તપાસતા અંદર રૂ.૧.૫૦ લાખ જેટલી રકમ બચી હતી, જ્યારે રૂ.૮,૩૮,૫૦૦/- રોકડાની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ત્રણ લૂંટારાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






