ધાર્મિક વિધીના ઝઘડાનો ખાર રાખી જેઠે સસરા અને પુત્રવધુને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી.
ટંકારા તાલુકાના સજનપર(ઘુ) ગામે ધાર્મિક કાર્ય દરમિયાન થયેલી બોલાચાલીનો ખાર રાખી પુત્રએ પોતાના પિતાને લાકડાના ધોકાથી માર મારી હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ પુત્રવધુને પણ ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના સજનપર(ઘુ) ગામે હોળીધાર વાડી વિસ્તારમાં રહેતા અંજનાબેન ગોપાલભાઈ ધોળકીયાએ આરોપી પોતાના જેઠ નરશીભાઈ વાલજીભાઈ ધોળકીયા રહે.સજનપર(ઘુ) તા.ટંકારા વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, એક મહિના પહેલા ધાર્મિક વિધી દરમિયાન આરોપી અને તેમના પિતા વાલજીભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી આરોપી નરશીભાઈએ હોળીધાર વાડી ખાતે જઈ પોતાના પિતા વાલજીભાઈને લાકડાના ધોકાથી માર માર્યો હતો. હુમલામાં વાલજીભાઈના ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા તેમજ શરીરે અન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવ સમયે ફરિયાદી અંજનાબેન ત્યાં પહોંચી જતા આરોપીએ તેમને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઈજાગ્રસ્ત વાલજીભાઈને પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે ટંકારા પોલીસે બીએનએસની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






