આજ રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન તથા શહેરના અગ્રણી ઉદ્યોગકારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની બેઠક દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, નરેન્દ્રભાઈ સંઘાત, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મારવાણિયા સહિતના આગેવાનો દ્વારા મંત્રીનું શ્રી રામ ભગવાનની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો, હાલના પડકારો તેમજ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે જરૂરી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઉદ્યોગને વધુ ગતિશીલ, આધુનિક અને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના સહયોગ, યોગ્ય નીતિઓ અને ઉદ્યોગકારોના સંકલિત પ્રયાસોથી મોરબીનો સિરામિક ઉદ્યોગ વિકાસના નવા શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.






