ગુજરાત વહીવટી સેવા (GAS) ના બાહોશ અને પ્રજાભિમુખ અધિકારી ડો. મેહુલકુમાર. એમ. બરાસરાની રાજ્ય સરકાર દ્વારા પાટણના નવા નિવાસી અધિક કલેક્ટર (RAC) તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડો. બરાસરા મોરબીના વતની છે તથા જીલ્લા ભાજપ અગ્રણી ચંદુભાઈ કણસાગરાના જમાઈની આ ઉચ્ચ પદ પર નિયુક્તિ થતાં જ મોરબી સહિત સમગ્ર પંથકના રાજકીય અને સામાજિક વર્તુળોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
ડો. એમ. એમ. બરાસરા એક ઉચ્ચ શૈક્ષણિક અને વહીવટી બેકગ્રાઉન્ડ ધરાવતા અધિકારી છે. દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ની પરીક્ષા પાસ કરીને તેઓ દિલ્હી ખાતે કેન્દ્રીય સેવામાં કાર્યરત હતા. જો કે, પોતાના માદરે વતન ગુજરાતની જનતાની સેવા કરવાની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પને કારણે, તેમણે GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) ની પરીક્ષા પણ પાસ કરી અને ગુજરાત વહીવટી સેવામાં જોડાવાનો લોકહિતનો નિર્ણય કર્યો હતો.
પાટણ ખાતે નિવાસી અધિક કલેક્ટર તરીકેનો મહત્વનો કાર્યભાર સંભાળતા પહેલા, ડો. બરાસરા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે પ્રાંત અધિકારી (SDM) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજુલા મુકામે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક જનહિતના કાર્યો અને વહીવટી સુધારાઓ કરીને સ્થાનિક લોકોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. એક સંવેદનશીલ અને ત્વરિત નિર્ણય શક્તિ ધરાવતા અધિકારી તરીકેની તેમની છાપને કારણે તેઓ સામાન્ય જનતાના હૃદયમાં સ્થાન પામ્યા છે.
ડો. બરાસરા જેવા ઉચ્ચ શિક્ષિત, અનુભવી અને માદરે વતન માટે સમર્પિત અધિકારીની પાટણના નિવાસી અધિક કલેક્ટર તરીકેની વરણીથી પાટણ જિલ્લાના વહીવટી તંત્રને એક નવી ઊર્જા મળશે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરનો બહોળો વહીવટી અનુભવ ધરાવતા ડો. બરાસરા આગામી સમયમાં પાટણ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવશે અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે
તેમની આ પ્રગતિશીલ સફળતા બદલ મોરબીના બરાસરા પરીવાર અને ટંકારા ભાજપ અગ્રણી ચંદુભાઈ કણસાગરાના પરિવાર સહિત સ્નેહીજનો, મિત્રો અને શુભચિંતકો દ્વારા તેમને નવી જવાબદારી માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






