વારંવાર ફોન કરી ગાળો અને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
મોરબીના એક બાંધકામના કોન્ટ્રાક્ટરે કેશોદના શખ્સ પાસેથી પાંચ વર્ષ પહેલાં લીધેલા હાથ ઉછીના રૂપિયા પરત આપી દીધા હોવા છતાં વારંવાર ફોન ઉપર ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવા અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર વિસ્તારમાં ભગવતી ટ્વિન્સ-એ બ્લોક નં.૧૦૪ માં રહેતા રાજેશભાઈ વાઘજીભાઈ કાલાવડીયા ઉવ.૪૧એ કેશોદના વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ ખીમજીભાઈ માકડીયા રહે. કેશોદ સ્ટેશન રોડ પારસ ઓટોની બાજુમાં જી.જૂનાગઢ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પાંચ વર્ષ પહેલાં ધંધાકીય કામસર હાથ ઉછીના રૂપિયા લીધા હતા, જે પરત આપી દીધા હોવા છતાં આરોપી વારંવાર ફોન કરી ગાળો બોલતો અને ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૩૫૧(૩) અને ૩૫૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






