અબ્બાસ સોતા હત્યા કેસનો ખાર રાખી ઘરવખરી સળગાવી અને પરિવારને આપી જાનથી મારી નાખવાની ધમકી.
માળીયા(મી) તાલુકાના નવી નવલખી ગામે હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ઘરમાં ઘુસી તોડફોડ કરી આશરે દોઢ લાખની ઘરવખરી સળગાવી દેવાઈ અને પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે પાંચ મહિલા સહિત સાત શખ્સો સામે માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) તાલુકાના નવી નવલખી ગામના હાલ જામનગર માધાપ૨ ભુંગા તા.જી.જામનગર રહેતા બાનુબેન અભરામભાઈ સાઈચાએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૦૨ જૂનના રોજ આરોપી ઇબ્રાહીમ હારૂનભાઈ સોતા, ઈશાક કરીમભાઈ પઠાણ, શકીનાબેન, સલમાબેન, ફરીદાબેન, શેરબાનુ બધા રહે.નવી નવલખી અને આરોપી રીહાના રહે. વવાણીયા સહિતના લોકો ધોકા અને લાકડીઓ સાથે તેમના ઘરે ઘુસી આવ્યા હતા. ફરિયાદ મુજબ આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી અંદર તથા બહાર રહેલો આશરે રૂ.૧.૫૦ લાખનો ઘરવખરીનો સામાન સળગાવી દીધો હતો. સાથે જ “હવે જ્યાં મળશે ત્યાં જીવતા નહીં રહેવા દઈએ” તેવી ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ પાછળ તા.૧૧ મેના રોજ થયેલા અબ્બાસ અબ્દુલભાઈ સોતાના હત્યા કેસમાં ફરિયાદીનો પુત્ર હુશેન અભરામભાઈ સાઈચા સંડોવાયેલ હોવાનો ખાર રાખી મરણ જનારના ઉપરોક્ત સગા સંબંધીઓ દ્વારા કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. હાલ માળીયા(મી) પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અબે જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






