પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને જીલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો: ત્રણ મુખ્ય વક્તાઓએ ડૉ. મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો અને જીવનકાર્ય પર પ્રકાશ પાડ્યો.
મોરબી જીલ્લા ભાજપ દ્વારા ‘શ્રી કમલમ’ ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને મુખ્ય વક્તાઓએ ડૉ. મુખર્જીના સામાજિક, રાજકીય અને રાષ્ટ્રવાદી જીવન પર વિસ્તૃત માર્ગદર્શન આપતાં તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, પૂર્વ વાઇસ ચેરમેન પ્રદીપભાઈ વાળા, પૂર્વ પ્રમુખ વિજયભાઈ જાની, મેયર ઉત્તમભાઈ સુરાણી, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર તેમજ પૂર્વ જીલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ રહ્યા હતા.
સંમેલનમાં અનિરુદ્ધભાઇ દવેએ ડૉ. મુખર્જીના સામાજિક અને રાજકીય જીવન તેમજ દેશની એકતા અને અખંડિતતા માટેના તેમના સમર્પણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિજયભાઈ જાનીએ ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ તરીકે ડૉ. મુખર્જીના યોગદાન અને પક્ષની વિચારધારા અંગે માહિતી આપી હતી, જ્યારે પ્રદીપભાઈ વાળાએ કેન્દ્રીય મંત્રી તરીકે તેમના ઔદ્યોગિક અને આર્થિક વિકાસલક્ષી નિર્ણયો અંગે કાર્યકરોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમમાં મોરબી જીલ્લાના તાલુકા અને શહેર મંડળોના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.






