હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના કડીપાણી ગામની ઇતાબેન ગોવિંદભાઈ રાઠવા ઉવ.૩૨ હાલ ઇંગોરાળા ગામની સીમમાં આવેલી વાડીમાં રહેતી હતી. ગત ૪ જુલાઈએ તેમણે પોતાની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી પ્રથમ તેમને હળવદની નારાયણ હોસ્પિટલમાં, ત્યારબાદ મોરબીની મંગલમ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસની તપાસમાં મૃતકના પતિ ગોવિંદભાઈ શંભુભાઈ રાઠવાએ આપેલ વિગતો મુજબ મૃતક ઇતાબેનના લગ્નને નવ વર્ષ થયા હતા અને તેમને એક પુત્ર તથા એક પુત્રી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.






