મહંતશ્રી ભાવેશ્વરીમાના સાનિધ્યમાં યજ્ઞ, નેજા ઉત્સવ અને મહાપ્રસાદ: રાત્રે પાટ સંતવાણીમાં ભજનોની રમઝટ જામશે.
મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદ બાદ દાતાશ્રી સ્વ. નરભેરામભાઈ ધોરીયાણીના સ્મરણાર્થે આશ્રમના નવા ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમમાં બાળ કલાકારો અને ભજનિકો રમઝટ બોલાવશે.
મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે મહંતશ્રી ભાવેશ્વરીમાના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે યજ્ઞ, નેજા ઉત્સવ તેમજ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પ્રસંગે દાતાશ્રી સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીના સ્મરણાર્થે આશ્રમના નવા ગેટનું લોકાર્પણ ઘુંટુ ગામના પરિવારજનો રેવાબેન, વનીતાબેન, શોભનાબેન અને જયશ્રીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ઉજવણીના ભાગરૂપે રાત્રે પાટ સંતવાણી કાર્યક્રમ યોજવવાનો છે જેમાં બાળ કલાકાર નામદેવ, બાળ કલાકાર મિલન, બાળ તબલાવાદક દેવાંગ, બાળ તબલાવાદક રુદ્ર સહિત અનેક ભજનિકો ભક્તિમય ભજનોની રમઝટ બોલાવશે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






