દીવાલનું કામ બંધ કરાવી ભત્રીજાઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી.
ટંકારા તાલુકાના નેકનામ ગામે વડીલોપાર્જિત પોતાના ભાગમાં આવેલા પ્લોટમાં દીવાલ બનાવતા ભત્રીજાઓ સાથે સગા કાકા અને તેમના બે પુત્રોએ બોલાચાલી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે પ્રથમ અરજી બાદ ફરિયાદ નોંધાઈ છે. હાલ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, મૂળ નેકનામ ગામના વતની અને શાંતિનિકેતન પાર્ક પરસાણા નગર રાજકોટ ખાતે રહેતા તેમજ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલા ઉવ.૪૨એ ટંકારા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ નેકનામ ગામે આવેલા વડીલોપાર્જિત પોતાના ભાગે આવેલા પ્લોટમાં ફરિયાદી તેમના ભાઈ ધનરાજસિંહ અને કાકા ચંદ્રસિંહ દીવાલ બાંધવાનું કામ કરાવી રહ્યા હતા. તે દરમિયાન તેમના સગા કાકા આરોપી રણજીતસિંહ ધીરૂભા ઝાલા તેમજ તેમના પુત્રો આરોપી હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને આરોપી હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા ત્રણેય રહે. નેકનામ ગામ તા.ટંકારા વાળા ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓએ દીવાલનું કામ બંધ કરાવી, મજૂરોને ધમકાવીને ભગાડી દીધા અને બાદમાં બોલાચાલી કરી ગાળો આપી ફરિયાદી તથા તેમના ભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો, સાથે જ ફરી પ્લોટમાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. હાલ બનાવ અંગે ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






