ઘરધણીને જાણ પણ ન થઈ: બીજા રૂમના કબાટની તિજોરીમાંથી બે તોલાની સોનાની માળા અને રૂ.૧૫ હજાર સહિત ૧.૭૨ લાખની ચોરી.
ટંકારા તાલુકાના સરાયા ગામમાં રાત્રિના સમયે પરિવાર સૂતો હતો ત્યારે અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસી બીજા રૂમના કબાટની તિજોરીમાંથી અંદાજે બે તોલાની સોનાની માળા અને રૂ. ૧૫ હજારની રોકડ મળી કુલ રૂ.૧.૭૨ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોરીના બનાવ અંગે નાના એવા સરાયા ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. હાલ ટંકારા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના સરાયા ગામે જુના ગામમાં રહેતા અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંક, વાંકાનેરમાં નોકરી કરતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢી ઉવ.૪૦એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૧ ઓગસ્ટની રાત્રે તેઓ અને તેમનો પરિવાર ઘરમાં સૂતા હતા. ત્યારે મધરાતે આશરે એક વાગ્યે તેમની માતાએ બીજા રૂમનો દરવાજો ખુલ્લો અને લાઇટ ચાલુ હોવાનું જણાવી લલીતભાઈ સહિત પરિવારના સભ્યોને જગાડ્યા હતા.
જે બાદ પરિવારે રૂમમાં જઈ તપાસ કરતાં લોખંડનો કબાટ ખુલ્લો જોવા મળ્યો અને કબાટની તિજોરી તપાસતા અંદાજે બે તોલાની સોનાની માળા કિ.રૂ.૧.૫૭ લાખ તથા રૂ.૧૫ હજાર રોકડા મળી કુલ રૂ.૧.૭૨ લાખના મુદ્દામાલની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેથી હાલ ચોરીના બનાવ અંગે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ટંકારા પોલીસે આરોપી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






