વેપારી તથા ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્ભવતા વિવિધ વિવાદો અને મતભેદોનું પરસ્પર સમજુતી દ્વારા સરળતાથી નિવારણ લાવવાના હેતુથી ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સ (મધ્યસ્થીઓ) ની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓ વચ્ચેના વ્યાપારિક પ્રશ્નોને કોર્ટના લાંબા અને ખર્ચાળ આંટાફેરા વગર લોકઅદાલત કે મધ્યસ્થતા (Mediation) ના માધ્યમથી ઝડપથી ઉકેલવાનો છે.
ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર એવા મોરબી જિલ્લામાંથી પણ બે અગ્રણી વ્યક્તિઓની મીડિયેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં મોરબી સીરામીક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના ફ્લોર ડીવીઝનના પ્રમુખ સિરામિક સંદીપ આર. કુંડારિયા અને વર્મોરા ગ્રેનાઈટો લિમિટેડના મુકુંદભાઈ ટી. સનચાણિયા નો સમાવેશ થાય છે.
મોરબીના આ અનુભવી મધ્યસ્થીઓની નિમણૂક થવાથી સ્થાનિક સિરામિક ઉદ્યોગકારો, વેપારીઓ અને કંપનીઓ વચ્ચેના નાણાકીય કે વ્યાપારિક વિવાદો સ્થાનિક સ્તરે જ સુખદ રીતે ઉકેલી શકાશે. જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે અને વેપાર- ઉદ્યોગમાં સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેશે.






