ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના તેમજ સરહદી રેન્જ (કચ્છ)ના આઈજીપી અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસે વર્ષ 2026 દરમિયાન “ઓપરેશન મિલાપ” અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગુમ થયેલા બાળકો, મહિલાઓ અને પુરુષોને શોધી તેમના પરિવારજનો સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવવાનો છે.
પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી, ડેટાબેઝ, ફેસ રેકગ્નિશન સિસ્ટમ તેમજ હ્યુમન સોર્સની મદદથી સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન માત્ર ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા જ નહીં, પરંતુ અપહરણના કેસોમાં ભોગ બનનાર બાળકોને પણ સુરક્ષિત રીતે શોધી પરિવારજનોને સોંપવાની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ. 2025/26 દરમિયાન નોંધાયેલા ગુમ થયેલા તથા અપહરણના કેસોમાંથી કુલ 36 વ્યક્તિઓનો પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. જેમાં 12 સગીર બાળકો, 16 મહિલાઓ અને 8 પુરુષોનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ ઓપરેશન મિલાપ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના નેતૃત્વમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસોથી આ કામગીરી પાર પાડી છે.






