હળવદ-મોરબી હાઇવે પર અકસ્માતમાં મેરૂપરના નાનજીભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત: ટ્રક ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ.
હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પુલ પર ટ્રક ટ્રેઇલર, ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન પુલની સાઇડમાં પગપાળા પસાર થઈ રહેલા મેરૂપર ગામના નાનજીભાઈ સોલંકી ટ્રકની અડફેટે આવી જતા ટાયર નીચે કચડાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભત્રીજાએ ટ્રક ટ્રેઇલરના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હળવદ-મોરબી હાઇવે પર સુંદરગઢ ગામના પુલ પાસે ગત તા.૧૪ ઓગસ્ટના રોજ અકસ્માતના બનાવની ફરિયાદ મુજબ, મેરૂપર ગામના નાનજીભાઈ સોલંકી સવારે પ્લાસ્ટિકનો કચરો વીણવા ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન સુંદરગઢ પુલ પર એક ટ્રક ટ્રેઇલર નં. આરજે-૦૨-જીસી-૦૨૦૯ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી આવી એક ટ્રક તથા ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એપી-૯૬૧૮ સાથે અકસ્માત સર્જ્યો હતો.
અકસ્મત સમયે પુલની ડાબી બાજુએ પગપાળા જઈ રહેલા નાનજીભાઈ ટ્રકની અડફેટે આવી ગયા હતા અને ટ્રકના ટાયર નીચે કચડાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ટ્રેઇલર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકની ઓળખ કરી હતી. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના ભત્રીજા મનસુખભાઈ ગોરધનભાઈ સોલંકીની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






