દીકરીની પ્રસૂતિ સમયે આપેલા રૂ.૫ હજારની વાતે બોલાચાલી બાદ પતિનો જીવલેણ હુમલો, સારવાર દરમિયાન પત્નીનું મોત.
મોરબીના ભડીયાદ ગામ પાસે આદ્યશક્તિ પેપર મિલમાં પતિ-પત્ની વચ્ચે દીકરીની પ્રસૂતિ સમયે પત્નીએ આપેલા રૂ.૫ હજાર અંગે બોલાચાલી થતાં પતિએ પત્નીના માથામાં લોખંડના હથોડાથી ઘા માર્યાનો બનાવ સામે આવ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ મોરબીની હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ બાદ આરોપી પતિ નાસી ગયો હતો. હાલ મૃતકનાવપુત્રની ફરિયાદને આધારે તાલુકા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીનેબપકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, જુના રફાળેશ્વર રોડ ઉપર ભડીયાદ ગામ નજીન આવેલ આદ્યશક્તિ પેપર મિલની લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના પાડલવા ગામના વતની વિનોદભાઈ ભૂરાભાઈ બુધિયાભાઈ કટારા ઉવ.૩૧એ તાલુકા પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદ મુજબ, ફરિયાદીના પિતા ભુરાભાઈ બુધિયાભાઈ કટારાને પોતાની દીકરી સુનીતાની ડિલિવરી સમયે પત્ની શાંતાબેને આપેલા રૂ.૫ હજાર બાબતે તેમની સાથે માથાકૂટ કરી હતી.
ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા ભુરાભાઈએ લોખંડના હથોડાથી શાંતાબેનના માથામાં ઘા માર્યો હતો. ત્યારે લોહીલુહાણ અને બેભાન હાલતમાં શાંતાબેનને મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તા.૧૭ ઓગસ્ટના સવારે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ ભુરાભાઈ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.






